Tuesday, July 7, 2009

આસપાસ - ચોપાસ

‘જીપ્સીની ડાયરી’ના સહભાગી તરીકે આપનું "જીપ્સીની યાત્રા"માં સ્વાગત છે.
'ડાયરી' સમરાંગણ તરફ કૂચ કરનાર સૈનિકની રોજનિશી હતી. રૂટ-માર્ચની જેમ તેના દૈનીક જીવનનો ભાગ. રૂટ માર્ચમાં સૈનિકનું 'ઘર' તેની પીઠ પર હોય છે. સૂવા-ઓઢવા માટે બે કામળા, વૉટરપ્રૂફ જાજમ (અમે તેને ગ્રાઉન્ડ શીટ કહીએ), રેનકોટ તથા રોજીંદા વપરાશનો સામાન રાખેલો મોટો બૅક-પૅક, હૅવરસૅક, પાણીની બાટલી તથા હથિયાર લઇ બે-ત્રણ મહિને ૫૦-૧૦૦ કિલોમીટરની પદયાત્રા કરવી પડતી હોય છે. સમરાંગણ તરફ જવું એની ફરજ હતી. "જીપ્સીની ડાયરી"માં તેને આપના સુંદર સ્વભાવનો તથા વાતચીતનો સાથ મળ્યો તેથી આ સફર આનંદદાયક નીવડી. અાપના સહકાર, સૌજન્ય અને માર્ગદર્શન માટે આપનો જેટલો આભાર માનીશ, ઓછો જ પડશે, તેમ છતાં અહીં અંત:કરણપૂર્વક ફરી એકવાર આપનો આભાર માનું છું.
જીપ્સીએ તેની ડાયરી પૂરી કરી ત્યારે આપની અનુમતિ માગી હતી કે આગળના પ્રવાસમાં આપનો સાથ મળશે કે કેમ. આપ સહુના સ્નેહભર્યા સંદેશને કારણે વિના વિલંબે નવો બ્લૉગ શરૂ કરૂં છું: "જીપ્સીની યાત્રા". એક અંગ્રેજી ક્લાસીકના પાત્રોની જેમ આ યાત્રામાં સામેલ થનારા બધા મિત્રોની વાતો સહુને સાંભળવા મળશે એવી આશા છે.
આજે મને એક જુની વાત સાંભરી આવી. ૧૯૭૮માં અમદાવાદના અખબાર ‘જનસત્તા’માં સ્વ. શેખાદમ આબુવાલાનું કૉલમ આવતું. એક વાર તેમણે પોતાની કટારમાં પ્રખ્યાત શાયર નિદા ફઝલીની નઝમ - “કરાંચી માઁ હૈ, બમ્બઇ બીછડા હુવા બેટા” સાથે એક સુંદર લેખ લખ્યો. લેખમાં તેમની ભાવના સ્પષ્ટ હતી. જો કે આ વિષયમાં અત્યારે ઘણું લખી શકાય, પણ તે વખતે મેં શેખાદમ સાહેબને અંગ્રેજીમાં પત્ર લખ્યો અને તેમાં સહિ કરી હતી, “સિન્સીયર્લી યૉર્સ, નરેન્દ્ર.”
તે અઠવાડીયાના રવિવારના સંસ્કરણમાં શેખાદમ સાહેબે ખાસ કટાર લખી. શિર્ષક હતું, “સિન્સીયર્લી યૉર્સ, નરેન્દ્ર”!!
મારા પત્રનો ઉલ્લેખ કરી તેના સંદર્ભમાં તેમણે જે લખ્યું, 'જીપ્સીની યાત્રા'ના પ્રથમ અંકમાં જનસત્તાના તંત્રીના સૌજન્ય સાથે રજુ કરૂં છું. શેખાદમ સાહેબના વારસ કોણ છે અને ક્યાં છે તે જાણતો નથી, તેથી તેમની અત્યારે રજા લઇ યથાયોગ્ય કારવઇ કરવું શક્ય નથી થયું. કોઇ વાચક મિત્ર મને તેમનું સરનામું ઉપલબ્ધ કરી આપશે તો તેમનો કૃતજ્ઞ થઇશ.
ત્યાર બાદ ઓળખાણ થઇ જનસત્તાના ચીફ રીપોર્ટર સ્વ. રમણભાઇ ભાવસાર સાથે. તેમણે મને એક કૉલમ લખવાની તક આપી હતી. કૉલમનું શિર્ષક તેમણે જ આપ્યું: "આસપાસ - ચોપાસ". બે વર્ષ સુધી અવારનવાર પ્રકાશિત થતું આ કૉલમ ઘણું લોકપ્રિય થયું. આજે રમણભાઇ ભાવસાર તથા શેખાદમસાહેબને સ્મરણાંજલિ આપી આજનો અંક તેમને અર્પણ કરૂં છું, અને આપને તેમાં ભાગ લેવા નિમંત્રણ આપું છું. આશા છે અગાઉની જેમ આ બ્લૉગમાં આપ જરૂર પધારશો.




Counters

Free Counter